Voice of Surat

સૌથી વધુ વપરાતી 'ટોપ-૨૦' સરકારી સેવાઓ હવે 'ડિજિટલ ગુજરાત' પોર્ટલ પર ઉપલબ્ધ

Posted On: |3 min read
આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર OTP દ્વારા અથવા બાયોમેટ્રિક પદ્ધતિ વડે કરાશે પ્રમાણીકરણ: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ વધુ સરળ, પારદર્શક અને ઝડપી મળે તે માટે 'ડિજિટલ ગુજરાત' પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાત વહીવટી સુધારણા આયોગ-GARCની ભલામણોને સ્વીકારીને સૌથી વધુ ઉપયોગમાં લેવાતી અને નાગરિકોને સીધી સ્પર્શતી સેવાઓ જેવી કે આવકનો દાખલો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડને લગતી મહત્વની 'Top-20' હાઈ-વોલ્યુમ સેવાઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને તેના માટે આધાર પ્રમાણીકરણ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે.

મંત્રી શ્રી વાઘાણીએ કહ્યું હતું કે, આ નિર્ણયથી રાજ્ય સરકારની વિવિધ સેવાઓમાં પારદર્શિતા અને ચોકસાઈ વધશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સરકારી યોજનાઓના લાભ માત્ર પાત્રતા ધરાવતા અને સાચા લાભાર્થીઓને જ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. આધાર પ્રમાણીકરણથી ડુપ્લીકેશન અટકાવી શકાશે અને સમગ્ર વ્યવસ્થા વધુ વિશ્વસનીય બનશે. આ પ્રક્રિયા માટે અરજદારની પૂર્વ સંમતિ મેળવવી અનિવાર્ય રહેશે. વધુમાં, આ સેવાઓ માટે એકવાર આધાર પ્રમાણીકરણ સફળતાપૂર્વક થઈ ગયા પછી નાગરિકોએ પોતાની ઓળખ અથવા રહેઠાણના પુરાવા માટે અન્ય કોઈ વધારાના દસ્તાવેજો આપવાની જરૂર રહેશે નહીં. જેના થકી અરજી પ્રક્રિયા અત્યંત સરળ અને પેપરલેસ બનશે.મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સેવાઓ માટે આધાર પ્રમાણીકરણ એક વન ટાઈમ પાસવર્ડ-OTP આધારિત પ્રમાણીકરણ અથવા બીજી જ્યાં સાધન-સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં બાયોમેટ્રિક આધારિત પ્રમાણીકરણ કરવામાં આવશે. વધુમાં, જો કોઈ નાગરિક પાસે આધાર કાર્ડ ન હોય અથવા ટેકનિકલ કારણોસર પ્રમાણીકરણ નિષ્ફળ જાય તો પણ તેને સેવાથી વંચિત રાખવામાં આવશે નહીં. આવા અપવાદરૂપ કિસ્સાઓમાં અન્ય વૈકલ્પિક ઓળખ પુરાવાઓ દ્વારા ખરાઈ કરીને સેવા પૂરી પાડવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. ડેટા સુરક્ષાની ખાસ તકેદારી વિશે તેમણે કહ્યું કે, સુરક્ષાના પાસાને ધ્યાને રાખીને સિસ્ટમમાં ક્યાંય પણ સંપૂર્ણ આધાર નંબર દર્શાવવામાં આવશે નહીં. જરૂર જણાય ત્યાં માત્ર છેલ્લા ૪ આંકડા એટલે કે Masked Aadhaar જ જોઈ શકાશે. આ ઉપરાંત UIDAI ની તમામ સુરક્ષા માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

'ડિજિટલ ગુજરાત' પોર્ટલ પર સૌથી વધુ વપરાતી 'Top-20' સેવાઓ આ મુજબ છે.

આ સેવાઓમાં આવકનો દાખલો (ગ્રામ પંચાયત), આવકનો દાખલો (શહેરી), આવકનો દાખલો (ગ્રામીણ), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર (ગ્રામીણ), નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (ગુજરાત સરકાર) – શહેરી, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (ગુજરાત સરકાર) – ગ્રામીણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર (શહેરી), નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (ભારત સરકાર), અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર (પંચાયત), આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેનું પ્રમાણપત્ર (આવક સાથે) – ગ્રામીણ, આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેનું પ્રમાણપત્ર (આવક સાથે) – શહેરી, રેશનકાર્ડમાં નામ ઉમેરવા બાબત, રેશનકાર્ડમાંથી નામ કમી કરવા બાબત, રેશનકાર્ડમાં સુધારા કરવા બાબત, અલગ રેશનકાર્ડ બનાવવા બાબત, નવા રેશનકાર્ડ માટેની અરજી, ડુપ્લીકેટ રેશનકાર્ડ માટેની અરજી, અન્ય તૈયાર સોગંદનામું (Affidavit), નકલ (Copy) મેળવવા માટેની વિનંતી અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્રણો સમાવેશ થાય છે.