ઉતરાયણ : રાજ્યભરમાં આશરે ૭૨૮ જેટલા વેટરનિટી તબીબો, ૧૦૩૬ સારવાર કેન્દ્રો તથા કલેક્શન સેન્ટર ઊભા કરાયાં

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત વન પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને વૉટર બર્ડ્સ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સના ડૉ એ.પી. સિંઘે કહ્યું કે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન સુધી ચાલનારા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની રહી છે. કરુણા અભિયાન-૨૦૨૬ અંતર્ગત આશરે ૭૨૮થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮૬૨૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે. રાજ્યભરમાં કુલ ૧૦૩૬થી વધુ સારવાર કેન્દ્રો તથા કલેક્શન સેન્ટર પણ ઊભાં કરવામાં આવ્યાં છે. આ અભિયાન દરમિયાન રાજ્યભરમાં પશુ દવાખાના, વેટરનરી પોલિક્લિનિક તેમજ શાખા પશુ દવાખાના ઉપરાંત ફરતાં પશુ દવાખાના અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે. ગુજરાતે સૌ પ્રથમવાર શરૂ કરેલું ‘કરુણા અભિયાન’નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે. ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે ૧૦મી જાન્યુઆરીથી ર૦મી જાન્યુઆરી- ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી કરુણા અભિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશાદર્શનમાં યોજાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ અને ૧૯૨૬ હેલ્પલાઇન જાહેર કરાયો છે. જે ૨૪x૭ કાર્યરત રહેશે. આ વોટ્સઅપ નંબર પર "Hi" મેસેજ કરવાથી એક લિંક મળશે, તેને ક્લિક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે. આ ઉપરાંત, પશુપાલન વિભાગ દ્વારા ૧૯૬૨ નંબર પણ સેવારત છે. આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે. મુખ્યમંત્રીશ્રીની મુલાકાત સમયે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવશ્રી, પશુપાલન વિભાગના નિયામકશ્રી સહિત વન વિભાગના અન્ય અધિકારીઓ, કરુણા અભિયાન સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સ્વયંસેવકો અને એનસીસી કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

