Voice of Surat

ચેક રિટર્નના કેસમાં આરોપી પાટીલ ઈશ્વર શ્રીકાંતને એક વર્ષની સજા

Posted On: |1 min read
રકમ ચુકવી દેવાની ખાતરી આપી છતાં કોર્ટમાં ગેરહાજર રહેતા ધરપકડ વોરન્ટ પણ જારી કરાયું

ચેક રિટર્નના કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી એક વર્ષ કેદની અને રિટર્ન ચેકની રકમ ચુકવવા હુકમ કર્યા હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા વિશ્વકર્મા મહાવીર રામઅચલ (રહે. ૩૨૪/૧, ક્રિષ્ના નગર, પાંડેસરા ગામ, સુરત) નાઓએ પાટીલ ઈશ્વર શ્રીકાંત વિરૂદ્ધ કોર્ટમાં ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અંતર્ગત કોર્ટમાં ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ મુજબ વિશ્વકર્મા મહાવીર રામઅચલ એ આરોપી નામે પાટીલ ઈશ્વર શ્રીકાંત (રહે-ઘર નં- ૧૨૦૧, બિલ્ડિંગ નં- એ-૧, કોપર સ્ટોન, સુરત એરપોર્ટ સામે, ડુમસ રોડ, સુરત) ને બે લાખ વીસ હજાર હાથ ઊછીના આપ્યા હતા. જે પેમેન્ટ પરત કરવા માટે આરોપીએ ૨.૨૦ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેકમાં જમા કરાવતા રિટર્ન થતા ફરિયાદ થઈ હતી. આ કેસમાં આરોપી તેમના વકીલ મારફત કોર્ટમાં હાજર થઈ અને ફરિયાદની નકલ લીધા બાદ સમાધાનની ખાતરી આપી હતી. જેમાં તેમણે ત્રણ – ચાર મહિનામાં રકમ ચૂકવી આપવા જણાવ્યું હતું. જો કે ત્યારબાદ કોર્ટ સમક્ષ આરોપી સતત ગેરહાજર રહેતા હતા. સુનાવણી દરમિયાન મુળ ફરિયાદી તરફે એડવોકેટ કિશન પારેખે હાજર રહી દલીલો કરતા જણાવ્યું કે, કોર્ટ આરોપીની હાજરી અને ઈચ્છાની મોહતાજ નથી. આવા કેસમાં સજા કરવાથી ફરિયાદીને ન્યાય મળશે. જે દલીલ માન્ય રાખી કોર્ટે આરોપીને યોગ્ય અને પૂરતી તક આપવા છતાં આરોપી હાજર ન રહેતા-આરોપીનો પુરાવા હક્ક બંધ કરીને તેને એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સાથે કોર્ટે આરોપીને રિટર્ન ચેકની રકમ વળતર સહિત ચૂકવવા આદેશ કર્યા હતો અને ગેરહાજર આરોપી વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યા હતો.