લોન હપ્તાના ચેક બાઉન્સ કેસમાં વરાછાના રહીશને એક વર્ષની સાદી જેલની સજા અને વળતર ચૂકવવાનો આદેશ

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા હસમુખભાઈ લક્ષ્મણભાઈ બારૈયાને કોર્ટે ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ સાથે જ ચેકની રકમ ફરિયાદી સંસ્થાને વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.કેસની વિગત મુજબ આરોપી હસમુખભાઈ બારૈયાએ પોતાના અંગત ધંધા માટે આવકાર અર્બન કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ. માંથી લોન લીધી હતી. લોનના હપ્તાની ચુકવણી માટે તેમણે આપેલો ચેક બેંકમાંથી અપૂરતા ભંડોળને કારણે પરત (બાઉન્સ) ફર્યો હતો. સોસાયટીના મેનેજર વિપુલભાઈ કિરીટભાઈ રાઠોડ દ્વારા સુરત જાણીતા એડવોકેટ નરેશ નાવડીયા, ભાવેશ નાવડીયા અને સંદીપ માંગુકીયા મારફતે સુરત કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન આરોપીએ લોન લીધી ન હોવાની અને નોટિસ ન મળી હોવાની દલીલો કરી હતી. જોકે, નામદાર કોર્ટે નોંધ્યું કે આરોપી પોતાનો બચાવ પુરાવા સાથે સાબિત કરી શક્યા નથી. ફરિયાદી પક્ષના વકીલોની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી, ટ્રાયલ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી એક વર્ષની સાદી જેલની સજા અને ચેકની રકમ વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે.

